ભિલોડા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ધો. ૮ ગણિતના પાઠ્ય પુસ્તકો આજ દિન સુધી વિધાર્થીઓને મળ્યા નથી વિધાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.ગતિશીલ ગુજરાત,શિક્ષિત ગુજરાત, ગુણવત્તા સભર શિક્ષણની મોટી – મોટી ગુલબાંગો વચ્ચે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હજ્જારો વિદ્યાર્થીઓને આજદિન સુધી ધોરણ. ૮ ગણિતના પાઠ્યપુસ્તકો મળ્યા નથી ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં છેલ્લા ધણા સમયથી ભારે રોષ ભભુકી રહ્યો છે.સત્રાંત પરીક્ષા હવે નજીક છે ત્યાં સુધી ગણિતનું પાઠ્યપુસ્તક અને વધ-ઘટના પુસ્તકો વિધાર્થીઓને મળ્યા નથી તેમ આધારભુત સુત્રો ધ્વારા જાણવા મળેલ છે.
એક બાજુ ગતિશીલ ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અવનવી યોજનાઓ પાછળ વર્ષે દહાડે મોટાપાયે ધુમ ખર્ચ કરે છે પરંતુ અત્રે ઉલ્લેખનિય છે કે,પાઠ્ય પુસ્તકો વગર ગુણવત્તા કેવી રીતે સુધરશે તે હવે એક પ્રશ્ન છે.ગણિત જેવા મહત્વના વિષયનું પાઠયપુસ્તક ન મળતા વાલીઓમાં ભારે નારાજગી જોવા મળે છે.
ભિલોડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે,ઉપરથી પાઠ્ય પુસ્તકો આવેલ નથી તેમ કહીને જવાબદારીમાંથી છટકી ગયા હતા.વિધાર્થીઓનું ભાવિ અંધકારમય હોય તેવો સૂર જાગૃત વિધાર્થીઓ અને વાલીઓએ વ્યક્ત કર્યો હતો. ગતિશીલ ગુજરાત રાજ્યના વિધાર્થીઓ ક્યાંથી ભણશે, કેવી રીતે શિક્ષણમાં આગળ વધશે તે હવે ચિંતાનો વિષય છે.




