અરવલ્લીના મેઘરજ તાલુકાના પિશાલ ગામે તમામ શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણ બહિષ્કારની હાકલ કરવામાં આવી હતી. જેમાં ગામની પ્રાથમિક શાળા , હાઈસ્કૂલ , આંગણવાડી સહિતના વિદ્યાર્થીઓએ શિક્ષણ બહિષ્કાર કર્યો હતો.
શિક્ષણ બહિષ્કારના કારણમાં એવુ બહાર આવ્યું કે, શાળાની આસપાસ મૃત પશુઓના ઢગલા ખડકતા વિદ્યાર્થીઓના આરોગ્યને જોખમ ઉભુ થયું છે. સૌથી ખતરનાક બાબત તો એ છે કે દુનિયામાં હાહાકાર મચાવનાર રોગિષ્ટ લમ્પીથી મોત થનાર મૃત પશુઓના મૃતદેહથી ભયંકર દુર્ગંધ ફેલાઇ રહી છે. આ અંગે વારવાર ધ્યાન દોરવા છતાં તેનો કોઇ નિકાલ ન આવતાં આખરે શાળા બંધ રાખવાની ફરજ પડી હતી.
તમામ સંસ્થાઓના 200થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના આરોગ્યની સુરક્ષા માટે શિક્ષણ બહિષ્કાર કરવામાં આવ્યો છે. અને જ્યાં સુધી મૃત પશુઓ માટે અન્ય જગ્યા ના ફળવાય ત્યાં સુધી શિક્ષણ બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે.




