સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલાક સયમથી રૂ.10ના સિક્કા બાબતે ખોટી અફવા ફેલાતાં વેપારી, દુકાનદારો સહિત અન્ય લોકોએ સ્વીકારવાનું બંધ કર્યું છે. આ અંગે તપાસમાં રૂ.10ના સિક્કાની 14 પ્રકારની ડિઝાઇનને લીધે સિક્કો અસલી, નકલીમાં અસમમંજસ ઉભી થતાં વેપારી, દુકાનદારો સહિત અન્ય લોકોએ રૂપિયા દસનો સિક્કો સ્વીકારવાનું બંધ કર્યું હોવાનું ધ્યાને આવ્યું છે.
આ અંગે બેંક સાથે જોડાયેલા અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યુ કે, જિલ્લામાં એસબીઆઇની 38 શાખામાં 55 કરોડ તથા બેંક ઓફ બરોડાની 22 શાખા સહિત અન્ય રાષ્ટ્રીયકૃત 60થી 65 બેંકો તથા ખાનગી અને સહકારી બેંકોમાં 60 કરોડ જેટલા મળી હાલ 115 કરોડથી વધુના રૂ.10ના સિક્કાઓ કરન્સી ચેસ્ટમાં જમા થયા છે.
રૂ.10ના સિક્કાને ન સ્વીકારવાની ફરિયાદ ઉઠતાં રિઝર્વ બેંકે ખુલાસો કરતા જણાવ્યું હતું કે દસ રૂપિયાના કોઈપણ સિક્કાઓ નકલી નથી, તમામ સિક્કાઓ અસલી છે. રિઝર્વ બેંક દ્વારા અલગ-અલગ કુલ 14 પ્રકારની ડિઝાઈનમાં 10ના સિક્કાઓ બહાર પડાયા છે. આ તમામ ડિઝાઇનમાં દેશની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ઝાંખી દર્શાવતી થીમનો ઉપયોગમાં કરાયો છે. જે તમામ પ્રકારની ડિઝાઇન ધરાવતા સિક્કાઓ કાયદેસર માન્ય ચલણી સિક્કાઓ છે અને વ્યવહારમાં તેને સ્વીકારી શકાય છે. જો કોઈ વ્યક્તિ ભારતીય ચલણ સ્વીકારતું નથી તો એ કાનૂની અપરાધ છે. તેઓની સામે કાર્યવાહી હાથ ધરાશે.
સૌથી નવો સિક્કો શ્રીમદ્ રાજચંદ્રની 150મી જયંતીએ, એપ્રિલ 2017માં નેશનલ આર્કાઈવ્ઝના 125 વર્ષ નિમિતે, જુન 2016માં સ્વામી ચિન્મયાનંદની જન્મશતાબ્દી, જાન્યુઆરી 2016માં ડો.ભીમરાવ આંબેડકર, જુલાઈ 2015માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકાથી પરત ફરવાના 100 વર્ષ પૂરો થવા પર 16 એપ્રિલ 2015, ક્વાયર બોર્ડની ડાયમન્ડ જ્યુબિલી એટલે કે 60 વર્ષ પૂરા થયા નિમિતે આ સિક્કો જુલાઈ 2014,ઓગસ્ટ 2013માં રિઝર્વ બેંકે માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના 25 વર્ષ પૂરાં થવા પર,જુન 2012માં ભારતીય સાંસદના 60 વર્ષ પૂરાં થવા પર,જુલાઈ 2011માં નવી સીરીઝ, એપ્રિલ 2010માં ‘આરબીઆઈના 75 વર્ષ’ પૂરા થવા પર, હોમી ભાભાની જન્મશતાબ્દી નિમિતે ફેબ્રુઆરી 2010માં, માર્ચ 2009માં ‘અનેકતામાં એકતા’ થીમ પર, 2009માં ‘કનેક્ટિવિટી અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી’ની થીમ પર રૂ.10નો સિક્કો નવી ડિઝાઇન સાથે બહાર પડાયો છે.




