સંસ્કાર ભારતી સાબરકાંઠા જિલ્લા દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે કલા સાધકોનું ગુરુપૂજન અને ભવ્ય સન્માન સમારોહ યોજાયો
સંસ્કાર ભારતી સાબરકાંઠા જિલ્લા દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે કલા સાધકોનું ગુરુપૂજન અને ભવ્ય સન્માન સમારોહ યોજાયો

હિંમતનગર: સંસ્કાર ભારતી સાબરકાંઠા જિલ્લા દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન અવસરે દર વર્ષની પરંપરા મુજબ સમાજના કલા સાધકોનું ગુરુપૂજન કરી તેમનું સન્માન કરવામાં આવ્યું. આ વર્ષના કાર્યક્રમમાં વિવિધ કલાક્ષેત્રના પ્રતિભાશાળી સાધકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પ્રખ્યાત વાયોલીન વાદક શ્રી અરવિંદ નાદરિયા, ભવાઈ નિષ્ણાત અને સંગીતકાર શ્રી હેમંતભાઈ કવિ, તબલાવાદક અને સંગીતકાર શ્રી ગુલાબભાઈ ઉસ્તાદનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સાહિત્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ વિદ્યાનગરી શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડી. એલ. પટેલ સાહેબનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું.
કાર્યક્રમનું આયોજન સંસ્કાર ભારતી સાબરકાંઠા જિલ્લા અધ્યક્ષ શ્રી નિરંજન શર્માના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. મહામંત્રી ઈલાબેન રાવલ, કોષાધ્યક્ષ ગજેન્દ્રસિંહ રાજપુરોહિત તેમજ સંસ્કાર ભારતીની સમગ્ર ટીમના સંયુક્ત પ્રયાસોથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
આ કાર્યક્રમમાં સંસ્કાર ભારતીના સભ્યો રાજુ લીમ્બાચીયા, કમલ લાયક, મહેન્દ્ર પંડ્યા, ડૉ. મહેન્દ્ર સોની તેમજ પ્રાંત જિલ્લા અધ્યક્ષ જગદીશ જોશી, સોનલબેન શર્મા અને સીમા રાજપુરોહિત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાનગરી શૈક્ષણિક સંકુલના કોન્ફરન્સ હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સેંકડો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ સંસ્કાર ભારતી દ્વારા ડૉ. અરવિંદભાઈ પટેલ, શ્રી કનુભાઈ પટેલ, શ્રી પ્રકાશભાઈ તથા શ્રી મહેન્દ્રભાઈ પટેલ સહિત વિદ્યાનગરી શૈક્ષણિક સંકુલના તમામ હોદ્દેદારો અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગુરુપૂર્ણિમાના આ પવિત્ર અવસરે યોજાયેલ આ સન્માન સમારોહે ગુરુ-શિષ્ય પરંપરા, ભારતીય સંસ્કૃતિ અને કલાસાધકો પ્રત્યેના સન્માનના ભાવને વધુ મજબૂત બનાવ્યો હોવાનું ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું.




