આગામી રવિવારથી નવરાત્રી પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આટલા વર્ષોમાં પ્રથમ વખત ખેલૈયાઓના હૃદય સહિતના આરોગ્યની ચિંતા માટે રાજયફ સરકારે હરકતમાં આવવું પડયું છે. છેલ્લા મહિનાઓમાં હૃદયરોગના હુમલાના કારણે રાજયમાં અનેક યુવાનોના અવસાન થયા છે ત્યારે ખુબ જ થાક, તનાવ જેવા કારણો સામે તકેદારીના પગલા લેવા નોરતામાં ગરબા આયોજન સ્થળે તબીબી સહાય ટીમો ઉપલબ્ધ કરાવવા કલેકટર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
ગરબા આયોજકોને પણ સહાયની વ્યવસ્થા ઉભી કરવા તાકીદ કરવામાં આવી છે ત્યારે રાજકોટ મહાપાલિકાએ પણ ડોકટરોની ટીમ અને આરોગ્ય કેન્દ્રોમાં મોડી રાત સુધી સારવારની વ્યવસ્થાનું આયોજન કર્યુ છે. નવરાત્રીના નવ દિવસો દરમ્યાન કોર્પો.ના તમામ 23 આરોગ્ય કેન્દ્રો રાત્રે એક વાગ્યા સુધી ખુલ્લા રહેશે અને કોઇ પણને ગરબા સ્થળે તબીબી સહાયની જરૂર હોય તો ટીમ સ્થળ પર હાજર રહેશે.
મનપાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા તમામ જિલ્લા પંચાયત અને મહાપાલિકાના આરોગ્ય અધિકારીઓ, તમામ વિભાગીય નાયબ નિયામકોને પત્ર પાઠવ્યો છે અને નવરાત્રી મહોત્સવમાં જયાં મોટા પાયે ગરબાના આયોજન થતા હોય ત્યાં આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા આરોગ્ય કમિશ્નરે જાણ કરી છે. તે અંતર્ગત કોર્પો.ના તમામ વિસ્તારમાં આવેલા 23 આરોગ્ય કેન્દ્રો ઇમરજન્સીની જેમ મેડીકલ ટીમ સાથે રાત્રે એક વાગ્યા સુધી ખુલ્લા રહેશે. 108માં લાઇફ સપોર્ટ સિસ્ટમ સાથે સ્ટાફ ખડેપગે રહેેશે. જિલ્લા તંત્રની સૂચનાથી ગરબા આયોજકોએ પોતે પણ ખાનગી હોસ્પિટલો સાથે સંકલન કર્યુ છે. તો મહાપાલિકાની તબીબી ટીમ ગરબાના મેદાનમાં સતત મદદ માટે હાજર રહેશે.




