દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકોટમાં કરેલી પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યુ હતું કે, ‘અમે કોંગ્રેસ નથી. હવેથી તમારો વ્યવહાર બદલી નાંખજો. અત્યાર સુધી તમે માત્ર કોંગ્રેસ જોડે જ ડીલ કરતા હતા, પણ આ આમ આદમી પાર્ટી છે. અમે સરદાર અને ભગતસિંહની રાહ પર ચાલનારા વ્યક્તિઓ છીએ.’ આ દરમિયાન અરવિંદ કેજરીવાલ ગુજરાતની પ્રજાને અનેક પ્રકારની ગેરંટીઓ પણ આપી રહ્યા છે ત્યારે રાજ્યની ભાજપા સરકાર પણ નાગરીકોને આમ આદમી પાર્ટીના રેવડી કલ્ચરથી બચવા જણાવી રહ્યા છે. આવામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ આક્રામક મૂડમાં આવી ગયા છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આમ તો એક સરળ વ્યક્તિત્વ ધરાવે છે અને તેઓ મૃદુભાષી વ્યક્તિ છે જેમને કોઇ પણ વ્યક્તિ ગમે તે સમયે મળી શકે છે સાથે જ એવું પણ કહેવાય છે કે, ભૂપેન્દ્ર પટેલ ક્યારેય કોઇ રાજકીય કોન્ટ્રોવર્સીમાં જોવા મળતા નથી. ત્યારે જેમ જેમ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ ભૂપેન્દ્ર પટેલ પોતાની એક નવી ઓળખ ઉભી કરી રહ્યા છે અને જે રીતે તેઓ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરી રહ્યા છે તેને જોતા લાગી રહ્યું છે કે, હવે ગુજરાતના સીએમ આપ પાર્ટીના રેવડી કલ્ચર સામે બાયો ચઢાવીને મેદાનમાં આવી ગયા છે.




