રાજસ્થાનમાં છેલ્લા ઘણા સમયથી અવાર-નવાર કાયદો અને વ્યવસ્થાની ગંભીર સ્થિતિ ઊભી થઈ રહી છે. હવે જાલોરમાં એક દલિત વિદ્યાર્થીના મોત બાદ સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ છે અને આગામી 24 કલાક માટે ઈન્ટરનેટ બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે.
સમગ્ર જાલોરમાં વિદ્યાર્થીના મોત મામલે જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે તથા આરોપી શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર 9 વર્ષના એક બાળકે સ્કૂલમાં પાણી પીવા માટે માટલાંને હાથ લગાવ્યો તો તેના શિક્ષકે તેને એટલો માર્યો કે કાનની નસ ફાટી ગઈ.
વધુ સારવાર માટે બાળકને જાલોરથી ઉદયપુર રિફર કરવામાં આવ્યો હતો. અહીં પણ તેમની તબિયતમાં સુધારો ન થયો, ત્યારબાદ અમદાવાદ લઈ જવામાં આવ્યો. અહીં સારવાર દરમિયાન શનિવારે સવારે 11 વાગ્યાના સુમારે મોત નીપજ્યું હતું.
સમગ્ર મામલે શહેરમાં વાત ફેલાતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો. પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે તથા સરકાર દ્વારા બાળકના પરિવાર માટે પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે.સમગ્ર મામલે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વિટ કરીને કહ્યું છે કે આરોપી શિક્ષક સામે SC-ST એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વહેલામાં વહેલી સજા થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.




