સાબરમતી રિવરફ્રન્ટ ધમ..ધમ..કરતાં પહોંચશે પાટનગર…ખર્ચ માત્ર 1300 કરોડ….
સાબરમતી રિવરફ્રન્ટ ધમ..ધમ..કરતાં પહોંચશે પાટનગર...ખર્ચ માત્ર 1300 કરોડ....
અમદાવાદ શહેરમાં નગરજનોમાં પ્રિય સાબરમતી રિવરફ્રન્ટનું વિસ્તરણ કરીને રાજ્યના પાટનગર ગાંધીનગર સુધી પહોંચશે. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે બનાવેલા રિવરફ્રન્ટને બીજા તબક્કાના પ્રોજેક્ટ તરીકે ગાંધીનગર સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. ખાસ કરીને ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટને પહોંચાડવામાં ચાર અને ગાંધીનગર સુધી બાકીના ત્રણ તબક્કાને આવરી લેવામાં આવ્યા છે. પ્રાથમિક તબક્કે 1300 કરોડના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, પહેલા તબક્કામાં આંબેડકર બ્રિજ-ડફનાળા આવે છે અને તે અત્યારે ઓપરેશન સ્થિતિમાં છે. બીજા તબક્કામાં 4.5 કિલોમીટર આવરી લેવામાં આવ્યા છે જે ડફનાળાથી ઇન્દિરાબ્રિજ સુધીના છે. આ તબક્કાના કામનો પ્રારંભ થયો છે, જ્યારે ત્રીજા તબક્કામાં આ રિવરફ્રન્ટ ઇન્દિરા બ્રિજ થી નર્મદા કેનાલ સુધી આવશે. જેની લંબાઇ 4 કિલોમીટરની છે. વાયબ્રન્ટ સમિટ પછી તેનું કામ શરૂ થશે. દુબઇ સ્થિત શોભા ગ્રુપ આ પ્રોજેક્ટમાં 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
શહેરી વિકાસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ચોથા તબક્કામાં પીડીપીયુ બ્રિજ થી શાહપુર બ્રિજ (ગિફ્ટ સિટી) ને આવરી લેવાશે. આ તબક્કામાં 4.5 કિલોમીટર આવે છે જેનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને અઢી વર્ષમાં પૂર્ણ થશે, જ્યારે 5થી 7 તબક્કા હવે પછી જાહેર કરવામાં આવશે, કે જે ન્યૂ ગાંધીનગરના વિસ્તારને સાંકળી લેશે.
ફેઝ-2માં રહેણાંક, વાણિજ્યિક, ગ્રીન પાર્ક, રોડ નેટવર્ક આવે છે, જે હાલના ભાગ કરતાં વધુ હરિયાળો હશે. નદીમાં પાણીનું સ્તર જળવાઇ રહે તે માટે બેરેજ કમ બ્રિજ બનાવાશે. ગાંધીનગરમાં 9.3 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ શરૂ કરવા માટે પ્રથમ તબક્કે 354 કરોડનો ખર્ચ અંદાજ્યો છે. પ્રથમ તબક્કે પીડીપીયુ, ગિફ્ટ સિટી અને શાહપુર બ્રિજ સુધીના વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં ઉંચી દિવાલો હશે અને નદીકાંઠાની બન્ને બાજુએ ચાર ઘાટનું નિર્માણ થશે.
ગિફ્ટ સિટીના રિવરફ્રન્ટ પાસે જે ઘાટ બનાવવામાં આવશે તેમાં કોંક્રીટ નહીં પણ કુદરતી ટોપોગ્રાફીનો ઉપયોગ કરવાનું સૂચન સરકારે સ્વિકાર્યું છે. ગાંધીનગરના રિવરફ્રન્ટના સાત તબક્કામાં રાયસણ, રાંદેસણ, ધોળેશ્વર મહાદેવ સહિતનો વિસ્તાર આવી જશે. હાલ અમદાવાદ રિવરફ્રન્ટ ફેઝ-૨ માટે ઈન્દિરા બ્રિજ સુધી કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં ગિફ્ટ સિટી પાસે રિવરફ્રન્ટ બનતા ગાંધીનગરના નાગરિકોને નવી સુવિધા મળશે. ત્રીજા તબક્કામાં રિવરફ્રન્ટ નર્મદા કેનાલ સુધીના ચાર કિલોમીટરને આવરી લેશે, જેનું નિર્માણ કાર્ય વાયબ્રન્ટ સમિટ પછી શરૂ થશે.




