
અરવલ્લી જિલ્લામાં આજથી નવરાત્રીના પહેલા નોરતાની શરૂઆત નવરાત્રીની પ્રાચીન પરંપરા આજે પણ અકબંધ હોય તેમ ઇસરી ગામે છેલ્લા 60 વર્ષથી નવરાત્રી પર્વ પર માતાજીની માંડવીની બ્રાહ્મણ દ્વારા પૂજા અર્ચના કરી માંડવીનું સ્થાપન કરવામાઁ આવે છે. અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રી પર્વનું અનેરું મહત્વ પણ ધરાવે છે.
શારદીય નવરાત્રી જેને આપણે ગુજરાતમાં આસો માસની નવરાત્રિપર્વ કહીએ છીએ એ પાવન પર્વ નિમિત્તે ગ્રામ્ય વિસ્તારમાં માની માંડવી મુકવાની પરંપરા આજે પણ યથાવત છે..નવરાત્રીનો તહેવાર આસો સુદ એકમથી લઇ ને આસો સુદ દસમ સુધી નવરાત્રી પર્વ ઉજવવામાં આવે છે.
જેમાં આજે પણ અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાના માતાજીની માંડવી મૂકી સ્થાપન કરવાની પરંપરા આજે પણ જોવા મળી રહી છે જેમાં ઇસરી ખાતે પહેલા નોરતે ગામના ચોકમાં દર વર્ષની જેમ આ વખતે પણ માતાજીની માંડવી મૂકી સ્થાપના કરવામાઁ આવી હતી જેમાં જે જગ્યાએ સ્થાપન કરવાનું હોય છે તે જગ્યાએ ગાયના છાણનું લીંપણ કરી તેમજ માતાજીની માંડવીને દૂધ તેમજ ગંગાજળ નો અભિષેક કરી કંકુ તિલક કરી બ્રાહ્મણ દ્વારા પૂજા અર્ચના કરી માંડવીની મૂળ જગ્યાએ માંડવી મુકવામાં આવે છે
ગામના વડીલો સહીત આયોજકો યુવાનો,સહીત અનેક લોકો સાથે મળી ને ગામમાં માતાજીની માંડવીનું સ્થાપન કરે છે જે પરમ્પરા આજે પણ ચાલતી આવી રહી છે. ખાસ કરીને આઠમાઁ નોરતાનું અનેરું મહત્વ રહેલું છે જ્યાં દર વર્ષે ચોખ્ખા ઘીના એકથી વધુ ડબ્બા ધીની સુખડીનો પ્રસાદ વહેંચવામાં આવે છે.
કોઈ ભકત દ્વારા માંગેલી માનતામાં જગદમ્બા અવશ્ય પૂર્ણ કરે છે તેથી માંડવીની જગ્યાનું ઘણું મહત્વ રહેલું છે. કોરોનાના કપરા કાળ દરમિયાન નવરાત્રી માટે પ્રતિબંધો લાદવામાઁ આવ્યા હતા પણ આ સાલે સંપૂર્ણ રીતે પ્રતિબંધોને દૂર કરી દેવામાં આવ્યા છે ત્યારે ખેલૈયામાં ઉત્સાહ જોવા મળ્યો છે જેના કારણે આ સાલ નવરાત્રી પર્વ ધામધૂમથી ઉજવણી થશે તેવું આયોજકો એ જણાવ્યું હતું.




