પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક સ્થળોએ જવા માટે ભાવિકોની વિશેષ ભીડ જોવા મળતી હોય છે, અને રજાના દિવસો હોવાથી લોકો ફરવા પણ વધારે જતા હોય છે. એવા સમયે ગાંધીનગર શહેરના એસ ટી બસ ડેપોમાં પણ રજાના દિવસોમાં લોકોનો ટ્રાફિક વધુ રહે છે. ખાસ કરીને તહેવારના દિવસોમાં એસ.ટી ડેપો કક્ષાએથી આ ટ્રાફિકને પહોંચી વળવા માટે વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવીછે. ત્યારે સાતમ આઠમને ધ્યાનમાં રાખીને ગાંધીનગર એસ.ટી. ડેપો દ્વારા પણ ધાર્મિક સ્થળો પર અને સૌરાષ્ટ્રના રૂટ પર વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવશે.
પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવના મંદિરોમાં લોકોની ખાસ ભીડ જોવા મળે છે. આ બાબતને ધ્યાને રાખીને ગાંધીનગર કોર્પોરેશન દ્વારા પણ શહેર તેમજ આસપાસના ધાર્મિક સ્થળોએ જવા માટે વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા લોકો આસપાસના ધાર્મિક સ્થાનોએ દર્શનાર્થે જવા માટે પણ વિશેષ ઉત્સાહી જોવા મળે છે. આ બસ સેવાને નાગરિકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. જયારે એસ.ટી ડેપો કક્ષાએથી પણ દર વર્ષે શ્રાવણ મહીનામાં ખાસ કરીને સાતમ આઠમના તહેવારોને અનુલક્ષીને વધારાની બસો દોડાવામાં આવે છે.




