અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના પેટાળમાં કિંમતી ખનીજ ભંડાર હોવાનું સામે આવ્યુ છે. જેને લઈ હવે અહીં ખનન કરવા માટે તજવીજ હાથ ધરાઈ છે. સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને ખનીજ ખનન માટે પ્રોજેક્ટ સ્થાપવાની કાર્યવાહીની હિલચાલ શરુ થતા જ સ્થાનિકોમાં વિરોધ સર્જાયો છે. સ્થાનિકોએ વિરોધનો સૂર રજૂ કરીને જિલ્લા ક્લેકટરને આવેદન પત્ર આપ્યુ છે.
પછાત જિલ્લા અને તાલુકાઓમાં સરકાર દ્વારા વિકાસના માર્ગ ખોલવા માટે પ્રયાસ કરવામાં આવતો હોય છે. આ દરમિયાન ભિલોડાના સરહદી વિસ્તારના પેટાળમાં કિંમતી ખનીજ હોવાનું સામે આવ્યુ છે. જેને લઇ સરકારે આ વિસ્તારમાં પ્રોજેક્ટ સ્થાપવાની હિલચાલ શરુ કરી છે. આ સાથે જ સ્થાનિકો દ્વારા હવે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ભિલોડા તાલુકાના કુંડોલ પાલ, ઝાંઝરી, માસોતા, ધનસોર વિસ્તારના પેટાળમાં ખનીજ હોવાની જાણકારી છે. અહીં નિકલ અને ક્રોમિયમનો ભંડાર હોવાને લઈ પ્રોજેક્ટ હાથ ધરવાની તજવીજ શરુ થઇ હોવાને લઈ સ્થાનિકો દ્વારા વિરોધ રજૂ કરવામાં આવ્યો છે. આ માટે સ્થાનિક આગેવાનોએ અરવલ્લી જિલ્લા ક્લેક્ટર અને ભિલોડા મામલતદારને સરપંચ એસોસિયેશને આવેદન પત્ર આપીને રજૂઆત કરી છે.




