વડોદરામાં ગત માસની 18 તારીખે ન્યુ સનરાઇઝ શાળાના બાળકોને હરણી લેકઝોનમાં પ્રવાસ માટે લઈ જવામાં આવ્યા હતા. તે દરમ્યાન આ દુર્ઘટના ઘટી હતી, આ દુર્ઘટનામાં પોલીસ અને FSL દ્વારા તપાસ કરવામાં આવી જેમાં મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યુ છે કે, બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાને કારણે જ આ ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. બોટ બનાવનાર કંપની દ્વારા પણ લેક ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડવામાં આવી છે. બોટ બનાવનારા કંપની સંચાલકોએ પૂછપરછમાં જણાવ્યુ છે કે, અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી જેમાં દોઢ ટન વજન ભરવામાં આવ્યુ હતુ. તેથી બોટિંગ દરમિયાન બોટ પલટી ખાતા 12 વિદ્યાર્થીઓ સાથે બે શિક્ષિકા સહિત કુલ 14 લોકોના મોત નીપજ્યા હતા.
આ અંગે પોલીસ અને એફએસએલના રિપોર્ટમાં અનેક ખુલાસા સામે આવ્યા છે. જેમા જાણવા મળ્યુ છે કે, હરણી લેકમાં બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાને કારણે જ આ દુર્ઘટના સર્જાઈ હતી. આ સાથે તપાસમાં સામે આવ્યુ છે કે, એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટમાં દોઢ ટન વજન થઈ ગયું હતું. નિયમ પ્રમાણે બોટમાં આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી. જ્યાં કોઈને બેસાડી ન શકાય ત્યાં દસ બાળકોને બેસાડવામાં આવ્યા હતા. આગળના ભાગે બાળકો બેસાડ્યા હતા જેથી ટર્ન લેતી વખતે બોટ પલટી ખાઇ ગઇ હતી.
આ ઉપરાંત બોટ બનાવનાર કંપનીએ પણ લેક ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડી છે. કંપની સંચાલકોએ કહ્યું છે કે, અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની જ હતી. જેમાં દોઢ ટન વજન કરવામાં આવ્યુ હતુ. હરણી લેકઝોનની દુર્ઘટનામાં પકડાયેલા આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહને કોર્ટમાં રજૂ કરાયા હતાં.
આ ગુનામાં પૂછપરછ માટે કોર્ટે બંને આરોપીના નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં. ગોપાલ શાહ, બિનિત કોટિયાએ પોલીસની પૂછપરછમાં પરેશ શાહ સામે બળાપો કાઢ્યો હતો. તેમણે પોતે છેતરાયા હોવાની વેદના વ્યક્ત કરી હતી. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા બંને આરોપીઓએ પરેશ શાહની પોલ ખોલી હતી. બંને આરોપીઓએ પોલીસને કહ્યું હતુ કે, પરેશ શાહે પેટા કોન્ટ્રાક્ટ આપ્યો એની અમને જાણ કરી ન હતી. હરણી લેક ઝોનનો પેટા કોન્ટ્રાક્ટ દસ મહિના પેહલા નિલેશ જૈન સાથે કરાયો હતો.




