બિહારમાં રાજકીય ગરમાવા બાદ આખરે નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતિશ કુમારે જેડીયુ ધારાસભ્યોની બેઠકમાં કહ્યું હતું કે, હવે સાથે રહેવું મુશ્કેલ છે અને રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. બેઠક બાદ તેઓ રાજીનામું આપવા રાજભવન જવા રવાના થયા અને પછી રાજ્યપાલને રાજીનામું આપ્યું છે.
નીતિશ કુમારે રાજભવન જઈને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું છે. હવે બીજેપી ધારાસભ્યો થોડીવારમાં સીએમ આવાસ પહોંચશે. આજે જ નીતિશ કુમાર નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
બિહાર વિધાનસભાની સંખ્યાની રમત વિશે વાત કરીએ તો 243 સભ્યોના ગૃહમાં બહુમતી માટે જરૂરી જાદુઈ આંકડો 122 ધારાસભ્યોનો છે. લાલુ યાદવની આગેવાની હેઠળની RJD 79 સભ્યો સાથે સૌથી મોટી પાર્ટી છે, જ્યારે ભાજપ 78 ધારાસભ્યો સાથે બીજા સ્થાને છે. નીતિશ કુમારની પાર્ટી JDU 45 ધારાસભ્યો સાથે ત્રીજી પાર્ટી છે. કોંગ્રેસ પાસે 19 અને ડાબેરીઓ પાસે 16 ધારાસભ્યો છે. જો આપણે RJD, કોંગ્રેસ અને ડાબેરીઓના ધારાસભ્યોની સંખ્યા ઉમેરીએ તો કુલ સભ્યોની સંખ્યા 114 સુધી પહોંચે છે, જે બહુમત માટે જરૂરી જાદુઈ આંકડા કરતા આઠ ઓછી છે.




