સાવધાનઃ ઇઝરાયલ-હમાસની લડાઇ નવી દિલ્હી પહોંચી…! બોંબ વિસ્ફોટ…!
સાવધાનઃ ઇઝરાયલ-હમાસની લડાઇ નવી દિલ્હી પહોંચી...! બોંબ વિસ્ફોટ...!
નવી દિલ્હીમાં ઈઝરાયેલી દૂતાવાસ નજીક મંગળવારે સાંજે લગભગ 5.48 કલાકે થયેલો વિસ્ફોટ આતંકવાદી હુમલો હોવાની આશંકાને પગલે ઈઝરાયેલની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે ભારતમાં તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે.
ઇઝરાયેલ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે ભારતમાં અને તેમાં પણ ખાસ કરીને નવી દિલ્હીમાં રહેતા ઇઝરાયલીઓને સલાહ આપી છે કે, “તેઓ ભીડભાડવાળા સ્થળો અને પશ્ચિમી લોકો અથવા ઇઝરાયેલી મુલાકાતીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા સ્થળોની મુલાકાત લેવાનું ટાળે તેમજ મોટા પાયે યોજાયેલા કાર્યક્રમોમાં હાજરી આપવાનું ટાળવું” મંગળવારે સાંજે દૂતાવાસની નજીક વિસ્ફોટ થયો હતો અને ઘટના સ્થળ પરથી “અભદ્ર” ભાષામાં ઇઝરાયેલના રાજદૂતને સંબોધિત એક પત્ર મળી આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, “આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.”
વિસ્ફોટ અંગે ઈઝરાયેલી દૂતાવાસના પ્રવક્તા ગાય નીરે કહ્યું, “અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે લગભગ સાંજે 5:48 કલાકે દૂતાવાસની નજીક વિસ્ફોટ થયો હતો. દિલ્હી પોલીસ અને સુરક્ષાની ટીમ હજુ પણ પરિસ્થિતિની તપાસ કરી રહી છે. ઈઝરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSC)એ આ ઘટનાને ધ્યાનમાં રાખીને એક ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. ઇઝરાયેલના નાગરિકોને ભીડવાળા સ્થળો (મોલ અથવા બજારો) પર જવાનું ટાળવા અને એવા સ્થળોએ ન જવાની સલાહ આપવામાં આવી છે જે કોઈપણ રીતે યહૂદીઓ અથવા ઇઝરાયેલીઓ સાથે સંકળાયેલા હોય.
એડવાઈઝરીમાં ઈઝરાયેલના પ્રતીકોનું પ્રદર્શન કરવાનું, મોટા પાયે ઈવેન્ટમાં હાજરી આપવાનું અને મુસાફરીની માહિતી આપવાનું અથવા ટ્રાવેલ ફોટો કે ટ્રાવેલ વિગતો સોશિયલ મીડિયા પર શેર કરવાનું ટાળવા જણાવવામાં આવ્યું છે કે જેનાથી તમે હાલમાં ક્યાં છો તે જાણવા મળતું હોય.
ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વિસ્ફોટમાં કોઇ ઇજા થઇ નથી. સ્થાનિક સત્તાવાળાઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને ઇઝરાયેલના સુરક્ષા દળો તેમને સમર્થન આપી રહ્યા છે.” એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “વિસ્ફોટ દૂતાવાસની નજીક સ્થિત સેન્ટ્રલ હિન્દી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની બહાર ગ્રીન બેલ્ટમાં થયો હતો.
ત્યારબાદ તરત જ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બાદમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની એક ટીમે પણ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદથી ઇઝરાયેલી દૂતાવાસની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.




