મોરબી-ઝૂલતા પુલની દુર્ઘટનામાં પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરી છે. ગઈકાલે ઢળતી સાંજે ઝૂલતો પુલ કાળ બનીને 130થી વધુ લોકોને ભરખી ગયો છે. ત્યારે આ ઘટના મામલે પોલીસ ફરિયાદ થઈ હતી અને હાલ તપાસ ચાલુ છે. આ ઉપરાંત સરકારે પણ સ્પેશિયલ ટીમ બનાવી આ ઘટનાની તપાસ હાથ ધરી છે.
9 આરોપીઓના નામઃઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવે અને દિપક પારેખ, ટિકિટ ક્લાર્ક મનસુખભાઇ ટોપીયા અને માદેવભાઇ સોલંકી, સિક્યુરિટી ગાર્ડ અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ, મુકેશ ચૌહાણ અને બ્રિજ રિપેરિંગ કોન્ટ્રાક્ટર દેવાંગ પરમાર, પ્રકાશ પરમારની ધરપકડ કરવામાં આવી છે.
શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ લોકો દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
પુલ તૂટતાં જ લોકો કેબલ પર લટકાઈ ગયા હતા અને કેટલાંક લોકો પાણીમાં તરીને જીવ બચાવવા માટે તરફડીયા મારી રહ્યા હતા. તેટલું જ નહીં, વીડિયોમાં પણ જોઈ શકાય છે કે, કેટલાંય લોકો એકબીજાના હાથ-પગ પકડીને એકબીજાને બચાવવા માટે મથી રહ્યા હતા.




