અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર સ્ટ્રોક સામે આવ્યો છે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા અંગે સરકારે કેબિનેટની બેઠકમાં પ્રસ્તાવ પસાર કર્યો છે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે. આ માટે યુનિફોર્મ સિવિલ કોડ કમિટી બનાવાશે. આ કમિટી પૂર્વ જજની અધ્યક્ષતામાં બનશે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે માહિતી આપી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નાગરિકોની માંગને લઇને સરકાર દ્વારા આજે યુનિફોર્મ સિવિલ કોડ મામલે નિર્ણય લેવાયો છે અને રાજ્યમાં તમામ નાગરિકો માટે કાયદો સમાન હોય તે માટે બંધારણના પ્રકરણ 4ની કલમ 44 અંતર્ગત કમિટીની રચના કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી રુપાલાએ જણાવ્યું હતું કે, દેશમાં એક કાયદો હોય તો ઘણો ફાયદો થશે. તમામ નાગરિકોને એક સમાન અધિકાર મળશે. સર્વાનુમતે નિર્ણય લેવાય તે લોકશાહીની તાકાત. અલાઉ કાયદાઓ અલગ-અલગ હતા. ઘણા લોકો અન્યાય સહન કરતા હતા. કબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે રુપાલાએ જણાવ્યું કે, કમિટીના રિપોર્ટ બાદ યુનિફોર્મ સિવિલ કોડ લાગશે. કમિટીની રચના કરવાનો નિર્ણય થઇ ગયો છે. કમિટીની રચના કરવાનો અધિકાર મુખ્યમંત્રીને અપાઇ ગયો છે. કમિટીની અધ્યક્ષતા હાઇકોર્ટના નિવૃત જજ કરશે. કમિટીમાં ત્રણ-ચાર સભ્યો રહેશે.




