એક તરફ ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દેશ-વિદેશની કંપનીઓ ઓફિસો ખરીદી રહી છે તો બીજી તરફ ગાંધીનગરના જ નવા વિકસેલા વિસ્તારોમાં બહારથી આવેલા લોકોને કોઈ મકાન આપવા માટે તૈયાર નથી.
એક મલ્ટિનેશનલ ફાઈનાન્સ કંપનીમાં કામ કરતા યંગ પ્રોફેશનલે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ શેર કરતા લખ્યું હતું કે તેને કે રાહેજા રોડ પર 2BHK ફ્લેટ આપવા માટે કોઈ તૈયાર નથી. આ યુવકે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે એક સોસાયટીમાં મકાન લેવાનો અનુભવ તેના માટે ભયાનક સાબિત થયો હતો, કારણકે સોસાયટીએ તેને એન્ટ્રી આપવાની જ ના પાડી દીધી હતી.
પહેલા તો આ યુવકને એવું કહેવાયું હતું કે તે બહારનો હોવાથી તેને મકાન નહીં મળે, પરંતુ પછી તેને ખ્યાલ આવ્યો હતો કે તેની જ્ઞાતિને લીધે પણ તેની સાથે ભેદભાવ કરાઈ રહ્યો છે. એટલું જ નહીં, આ યુવક ફ્લેટ ના ખરીદી શકે તે માટે સોસાયટીએ NOC આપવાનો પણ ઈનકાર કરી દીધો હતો.
ગાંધીનગરના નવા ડેવલપ થયેલા વિસ્તારોમાં બનેલી સ્કીમોના બિલ્ડર્સ પણ મોટાભાગે માણસા, વિજાપુર, નારદીપુર, ચંદીસણા, વિસનગર, મહેસાણા અને આસપાસના જ વિસ્તારોના છે. આ બિલ્ડરોની સ્કીમોમાં મકાન ખરીદનારા પણ મોટાભાગે તેમના જ ગામના લોકો હોય છે.




