આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે આજે મોટી વાત કહી છે. લાલુ પ્રસાદે કહ્યું કે હાલ સમગ્ર માહોલ ઈન્ડિયા બ્લોકના પક્ષમાં છે અને બંધારણ વિરોધી એવા ભાજપનો સફાયો થશે. લાલુ પ્રસાદ યાદવ આજે સારણમાં પાર્ટીની ઉમેદવાર અને પોતાની દિકરી રોહિણી આચાર્ય માટે ચૂંટણી પ્રચાર કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન તેમણે કેન્દ્ર અને બિહારની સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે સમગ્ર માહોલ ઈન્ડિયા બ્લોકના પક્ષમાં છે. બિહારમાં ઈન્ડિયા બ્લોકના પક્ષમાં હવા છે.
વધુમાં તેમણે દાવો કરતા કહ્યું કે જ્યાં હું ઉભો છું, ત્યાંથી રોહિણી આચાર્ય વધુ મતોથી જીતી રહી છે. હું રોહિણીની જીતને લઈને આશ્વાસ્ત છું, એટલે જ દાવો કરી રહ્યો છું. લાલુએ વધુમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી બંધારણ વિરોધી છે અને તેનો સફાયો થવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીને લઈને હાલ રાજકારણ ગરમાયું છે.
લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં ચાર તબક્કામાં વોટિંગ થઈ ચુક્યું છે. હવે પાંચમાં અને છઠ્ઠા તબક્કાનાં પ્રચાર પર ભાર મુકવામાં આવી રહ્યો છે. પાંચમાં તબક્કામાં 20 મેના રોજ બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સહિત 49 સીટો પર મતદાન થશે.




