રિલાયન્સ ADAG ગ્રુપના વડા અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ગ્રુપની અનેક કંપનીઓ નાદારીના આરે પહોંચી ચે જ્યારે હવે ઈન્કમ ટેક્સ વિભાગની વધુ એક નોટિસે અંબાણીની મુશ્કેલીમાં વધારો કર્યો છે.
આવકવેરા વિભાગે અનિલ અંબાણીને એક ટેક્સ ચોરીના કેસમાં નોટિસ પાઠવી છે. IT વિભાગે બ્લેક મની કાયદા હેઠળ 420 કરોડ રૂપિયાની કથિત કરચોરી સાથે સંબંધિત છે. અહેવાલ અનુસાર આ ટેક્સ સ્વિત્ઝરલેન્ડના બે બેંક ખાતામાં રાખવામાં આવેલી 814 કરોડ રૂપિયાથી વધુની બિનહિસાબી રકમ સાથે સંબંધિત છે.
શું છે આરોપ ? આવકવેરા વિભાગનો આરોપ લગાવ્યો છે કે અનિલ અંબાણીએ જાણીજોઈને ટેક્સ ચૂકવ્યો નથી. અંબાણીએ જાણીજોઈને વિદેશમાં બેંક ખાતા અને નાણાંકીય ફાયદાની વિગતો સત્તાધીશોને આપી ન હતી. આવકવેરા વિભાગે અનિલ અંબાણી પાસેથી આરોપો પર 31 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો છે. જોકે આ મુદ્દે અનિલ અંબાણી કે રિલાયન્સ ગ્રુપ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
આવકવેરા વિભાગની નોટિસ અનુસાર ટેક્સ અધિકારીઓએ શોધી કાઢ્યું કે અંબાણી બહામાસ સ્થિત એન્ટિટી ડાયમંડ ટ્રસ્ટ અને અન્ય કંપની, નોર્ધન એટલાન્ટિક ટ્રેડિંગ અનલિમિટેડ(NATU)માં નાણાકીય યોગદાન આપનાર તેમજ લાભદાયી માલિક છે. NATUની રચના બ્રિટિશ વર્જિન ટાપુઓ (BVI)માં થઈ હતી.
IT વિભાગે આક્ષેપ લગાવ્યો કે મળેલ પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે અંબાણી વિદેશી ટ્રસ્ટ, ડાયમંડ ટ્રસ્ટમાં આર્થિક યોગદાન આપનાર તેમજ લાભાર્થી માલિક છે. કંપની ડ્રીમવર્ક્સ હોલ્ડિંગ ઇન્ક.ના બેંક એકાઉન્ટ, NATU અને PUSAના લાભકારી માલિક છે.
બ્લેક મની એક્ટનું ઉલ્લંઘન : અંબાણીએ આવકવેરા રિટર્નમાં આ વિદેશી સંપત્તિઓની માહિતી આપી નથી. તેમણે 2014માં પ્રથમ વખત સત્તામાં આવ્યા બાદ તરત જ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા બ્લેક મની એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હતું. ટેક્સ અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી ભૂલો ઇરાદાપૂર્વક કરવામાં આવી હતી.
ટેક્સ અધિકારીઓએ બંને ખાતાઓમાં અઘોષિત ભંડોળનું મૂલ્યાંકન રૂ. 8,14,27,95,784 (રૂ. 814 કરોડ) કર્યું છે. તેના પર ટેક્સની જવાબદારી 420 કરોડ રૂપિયા છે.
આરોપ સાબિત થાય તો શું ? IT ડિપાર્ટમેન્ટે કહ્યું કે અનિલ અંબાણી વિરુદ્ધ બ્લેક મની (અનડિસ્ક્લોઝ્ડ ફોરેન ઈન્કમ એન્ડ એસેટ્સ) ઈમ્પોઝિશન ઓફ ટેક્સ એક્ટ 2015ની કલમ 50 અને 51 હેઠળ કાર્યવાહી કરવા માટે કેસ કરવામાં આવ્યો છે. તેમાં દંડ સાથે વધુમાં વધુ 10 વર્ષની સજા થઈ શકે છે.




