સિંહાસન પર બિરાજમાન છે આપણાં સૌના લોકલાડીલા બંધારણના ઘડવૈયા…જય હો….
સિંહાસન પર બિરાજમાન છે આપણાં સૌના લોકલાડીલા બંધારણના ઘડવૈયા...જય હો....
બંધારણ યાદ આવે એટલે દરેક ભારતીયને ડો.બાબા સાહેબ આંબેડકર યાદ આવે એ સ્વાભાવિક છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ડો.બાબા સાહેબની લગભગ 100થી વધુ પ્રતિમા છે. જોકે ગીતા મંદિરના મજૂર ગામમાં 14 એપ્રિલના રોજ એક વિશિષ્ટ પ્રકારની બંધારણના ઘડવૈયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. છ ફુટ ઉચ્ચી અને અંદાજે 12 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ પ્રતિમાની ખાસિયત એ છે કે તેમાં ડો.બાબા સાહેબ પોતે સિંહાસન પર બેસીને બંધારણ લખતી મુદ્રામાં છે.
મજૂર ગામમાં આવેલી છે આ પ્રતિમા
બંધારણના ઘડવૈયા અને મહાનાયક ડૉ.બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસે અમદાવાદ શહેરના મજૂર ગામ વિસ્તારના ત્રણ રસ્તા પાસે અનાવરણ કરવામાં આવ્યું હતું. પ્રતિમાની ખાસ વાત એ છે કે ડૉ.બાબા સાહેબ આંબેડકરની અમદાવાદ શહેરમાં આ એક જ પ્રતિમા એવી છે, જે સિહાસન પર બિરાજમાન છે. તેનું લોકોમાં ખાસ આકર્ષણ પણ છે. દાણીલીમડા વિસ્તારના ધારાસભ્ય શૈલેષ પરમાર સ્થાનિક કોર્પોરેટર શેહઝાદ ખાન પઠાણ અને સ્થાનિક કોર્પોરેટર રમીલાબેન પરમારની ભલામણથી AMCમાં મળવા પાત્ર ગ્રાન્ટ પ્રાપ્ત થઈ હતી. આ લગભગ 12 લાખની ગ્રાન્ટમાંથી આ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ પ્રતિમાને રામોલની એક ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવી છે. પ્રતિમાને સોનેરી રંગના ઘુમ્મટ આકારમાં સ્થાપિત્ત કરવામાં આવી છે. જે પ્રતિમાની શોભામાં વધારો કરે છે. રાત્રે લાઇટિંગથી ઝળહળતી પ્રતિમા જોવાનો નજારો અદભુત છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર કે આસપાસના વિસ્તારમાં આવી એક પણ પ્રતિમા નથી, જેમાં મહાનાયક સિંહાસન ઉપર જોવા મળે છે. બાબા સાહેબના હાથમાં પેન અને ભારતનું બંધારણ છે.
કાકરીયા બુદ્ધવિહારમાં ઘણા સમયથી કાર્યકર્તા તરીકે કાર્યરત એવા અમિતભાઈએ પ્રતિમા વિશેની માહિતી આપતા જણાવ્યું હતું કે સ્થાનિક કોર્પોરેટર રમીલાબેન પરમાર, શહેઝાદ ખાન પઠાણ તથા ધારાસભ્ય શૈલેષ પરમાર મળવા પાત્ર ગ્રાન્ટ માંથી AMC દ્વારા આ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો કુલ ખર્ચ 12,00,000 જેટલો માનવામાં આવી રહ્યો છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલ ગ્રીન ફાઇબર કંપની દ્વારા આ પ્રતિમાને તૈયાર કરવામાં આવી છે.
કંપનીના માલિક નકુલભાઈ સોનવણેએ ખાસ પોતાનો રસ દાખવી પ્રતિમા તૈયાર કરાવી હતી. અમારા બધાને એવી ઈચ્છા હતી કે આ પ્રતિમા ખાસ બને જેથી આ પ્રતિમાને સિંહાસન ઉપર બિરાજમાન કરવામાં આવી છે. સામાન્ય રીતે અમદાવાદમાં બાબા સાહેબની પ્રતિમા એક હાથમાં બંધારણ અને એક આંગળીથી દિશાનિર્દેશ આપતા હોય તેવી મુદ્રામાં જોવા મળે છે.
બાબા સાહેબ સિંહાસન પર બિરાજમાન થઈ બંધારણ લખતા હોય તેવી મુદ્રામાં આ પ્રતિમા છે. આ પ્રતિમાંને તૈયાર કરવામાં નવ મહિના જેટલો સમય લાગ્યો હતો. 14 એપ્રિલના રોજ આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.




