અમદાવાદ: એક તરફ રાજ્ય સરકાર ભ્રષ્ટચાર મુક્ત સરકાર અને વિભાગના દાવા કરી રહી છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે રાજ્યમાં હજુ પણ ભ્રષ્ટચાર અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ અમે નહીં પણ એન્ટી કરપર્સન બ્યુરો ખાતે નોંધાયેલા આંકડા કહી રહ્યા છે. કેમ કે, 2017થી ઓસ્ટોબર 2022 સુધી એસીબીમાં 1350 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ 2018 અને 2019માં નોંધાયા હતા. એસીબીનું સરવૈયું શું કહે છે….
વિકાસ તો થઈ રહ્યો છે પણ સાથે ભ્રષ્ટચારે પણ તેટલી જ માઝા મૂકી છે. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3 કે વર્ગ 4ના કર્મચારી હોય તમામની સામે ભ્રષ્ટચારના આરોપો છે. આવા જ કર્મચારીઓ સામે 2017થી આાજ દિન સુધી 1350 કેસ નોંધાયા છે. તેમાં વર્ષ 2021માં કુલ 173 કેસ કરવામાં આવ્યા. જ્યારે ચાલુ વર્ષમાં 143 કેસ નોંધાયા છે. જેમાં ટ્રેપના 128 કેસ, ડિકોયના 09 કેસ, ડીએના 03 કેસ જ્યારે અન્ય 03 કેસ કરવામાં આવ્યા છે. વર્ષ 2020માં 40 ટકા કન્વેક્શન રેટ હતો, તે વર્ષ 2021માં 43 ટકા થયો હતો, જેમાં 3 ટકા વધારો નોંધાયો હતો.
2017થી 2021 સુધી નોંધાયેલા કેસ
2017 148 કેસ
2018 332 કેસ
2019 355 કેસ
2020 199 કેસ
2021 173 કેસ
જ્યારે ચાલુ વર્ષે કુલ 143 કેસ એસીબીના ચોપડે નોંધાયા છે. જો વર્ગ પ્રમાણે કર્મચારી સામે થયેલી કાર્યવાહી જોઈએ તો ચાલુ વર્ષે કુલ 212 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે ગત વર્ષે એટલે કે વર્ષ 2021માં 287 લોકો સામે કાર્યવાહી કરાઈ હતી. આ તમામ સરકારી બાબુઓ પ્રજાના કામ કરવાના બદલામાં લાંચ લેતા પકડાયા. જેમાં વર્ગ 3ના અધિકારીઓનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું.
વર્ગ પ્રમાણે જોઈએ તો…
વર્ગ 1 8 કર્મચારી
વર્ગ 2 27 કર્મચારી
વર્ગ 3 91 કર્મચારી
વર્ગ 4 4 કર્મચારી
ખાનગી 82
સરકારી નોકરીનો ઉદેશ લોકોના કામ કરવાનો હોવો જોઈએ, પણ લાંચિયા સરકારી બાબુઓ સરકારી નોકરીનો ઉપયોગ જાણે કે કમાણીનું સાધન હોય તેમ કરી રહ્યા છે. આવી જ રીતે છેલ્લા 5 વર્ષમાં acbએ અનેક કેસ કરી કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત કબજે કરી. જેમાં 2020માં એસીબીએ સૌથી વધુ 38 કેસ કરી 50 કરોડ 11 લાખ 12 હજાર 824 રૂપિયાની અપ્રમાણસાર મિલકત ઝડપી હતી. 2021માં કુલ 11 કેસ કરી 56 કરોડ 61 લાખથી વધુની મિલકત શોધી હતી. જો છેલ્લા 6 વર્ષમાં સરકારી અધિકારીઓ પાસેથી વર્ષવાર મળી આવેલ અપ્રમાણસાર મિલકતના આંકડા પર નજર કરીયે તો…
વર્ષ અપ્રમાણસર મિલકત
2016માં 26,23,07,367
2017માં 15,69,70,857
2018માં 3,49,64,080
2019માં 27,80,78,358
જ્યારે 2021માં 56 કરોડ 61 લાખની મિલકત મળી આવી હતી. જ્યારે ચાલુ વર્ષે પણ એસીબીએ અપ્રમાણસર મિલકતના અનેક ગુનાઓ દાખલ કર્યાં છે.
6 વર્ષમાં કરોડો રૂપિયાની અપ્રમાણશર મિલકત સરકારી બાબુઓ પાસેથી ઝડપાઈ છે. ગુજરાતમાં અનેક સરકારી અધિકારીઓ લાંચનાં કેસમાં ઝડપાયા છે. ચાલુ વર્ષે એસીબીએ કરેલ કાર્યવાહીમાં સૌથી વધુ ગૃહ વિભાગમાં 30 ગુના દાખલ કરીને 44 આરોપીઓ સામે કાર્યવાહી કરી છે. ત્યારે ભ્રષ્ટાચાર નાબુદી માટેની એસીબીની ટોલ ફ્રી હેલ્પલાઇન 1064 પર આવેલા ફોન દ્વારા ફરિયાદોમાં પણ કાર્યવાહી કરવામાં એસીબીને સફળતા મળી છે. સાથે જ સોશિયલ મીડિયા મારફતે પણ મળતી ફરિયાદમાં એસીબીએ કાર્યવાહી કરી એક દાખલો પણ બેસાડ્યો છે. એસીબીના અનેક પ્રયત્નો અને લાંચિયા બાબુઓ સામે સખ્ત કાર્યવાહી છતાં ભ્રષ્ટ અધિકારીઓને કાયદાનો ડર જ ન હોય તેમ ભ્રષ્ટાચારનાં કેસોની સંખ્યા ધટતી નથી. ત્યારે જરૂરી છે કે ભ્રષ્ટચાર અટકાવવા અને લાંચ કેસ અટકાવવા લોકોએ સ્વયંમ જાગૃત બનવું પડશે ત્યારે જ ખરા અર્થમાં ભ્રષ્ટચારના કેસ અને લાંચના કેસ ઘટશે.




