બાબા રામદેવની પતંજલિ શું પતનના માર્ગે…? 105 મિનિટમાં 2300 કરોડનું નુકશાન…!
બાબા રામદેવની પતંજલિ શું પતનના માર્ગે...? 105 મિનિટમાં 2300 કરોડનું નુકશાન...!
સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની કંપની પતંજલિને ગઈકાલે મોટો ઝટકો આપ્યો છે. જે બાદ બુધવારે સવારે પતંજલિ ફૂડ્સના શેરમાં લગભગ 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે ગઈકાલ મંગળવારે બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ અને તેના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણને દવાની જાહેરાતોમાં “ભ્રામક દાવા” ન કરવાના તેમના વાયદાનું પાલન ના કરવા બદલ કોર્ટના તિરસ્કારની નોટિસ પાઠવી છે. જેની અસર શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓના શેરમાં જોવા મળી રહી છે. માત્ર 105 મિનિટમાં બાબા રામદેવની કંપનીને લગભગ 2300 કરોડ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે શું કહ્યું અને તે પછી શેર બજારમાં કંપનીના શેરની કિંમતમાં કેવી રીતે ઘટાડો જોવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે પતંજલિને હૃદયરોગ અને અસ્થમા જેવા રોગોના ઈલાજનો દાવો કરતા ઉત્પાદનોને પ્રમોટ કરવા પર પણ રોક લગાવી હતી. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા કોર્ટમાં પુરાવા રજૂ કર્યા બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે.
જેમાં ધ હિન્દુ અખબારમાં પતંજલિની જાહેરાત અને એક પ્રેસ કોન્ફરન્સનો સમાવેશ થાય છે, જેમાં કંપનીએ યોગની મદદથી ડાયાબિટીસ અને અસ્થમાને સંપૂર્ણ રીતે મટાડવાનો દાવો કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પતંજલિને અગાઉના કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું હોવાનું શોધી કાઢ્યું હતું, જેમાં પતંજલિને ભ્રામક જાહેરાતો જાહેર કરવા અને ભ્રામક દાવા કરવા પર રોક લગાવી હતી.
જો કે, તે જ દિવસે એક નિયમનકારી ફાઇલિંગમાં, પતંજલિ ફૂડ્સે જણાવ્યું હતું કે ભારતની સર્વોચ્ચ અદાલતની ટિપ્પણીઓ પતંજલિ ફૂડ્સ લિમિટેડ સાથે સંબંધિત નથી, જે ખાદ્ય તેલ અને ખાદ્ય FMCG સેક્ટરમાં કાર્યરત સ્વતંત્ર રીતે લિસ્ટેડ એકમ છે.
ગઈકાલ મંગળવારે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આજે બુધવારે કંપનીના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. માહિતી અનુસાર, બોમ્બે સ્ટોક એક્ષચેન્જમાં પતંજલિ ફૂડ્સના શેરની કિંતમમાં લગભગ 4 ટકાનો ઘટાડો થયો હતો અને કંપનીનો શેર 1556 રૂપિયા પર આવ્યો હતો. જ્યારે એક દિવસ પહેલા કંપનીના શેર રૂ. 1620.20 પર બંધ થયા હતા. જોકે, આજે કંપનીના શેર રૂ. 1562.05ના મોટા ઘટાડા સાથે ખુલ્યા હતા. હાલમાં આ સમાચાર લખાઈ રહ્યાં છે તે સમયે કંપનીનો શેર રૂ. 1565.95 પર ટ્રેડ કરી રહ્યો છે.




